રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના નાગરિકોના હિતમાં રાજ્ય સરકારના નિર્ણય વિશે જણાવતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે.
તે સિવાય સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો પણ ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લાના ખેડૂતોને 8 કલાકના બદલે હવે 10 કલાક વીજળી અપાશે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને સૌની યોજના મારફત વધારાનું પાણી પણ અપાશે. તો ઉત્તર ગુજરાતમાં પણ આગામી સમયમાં જરુરિયાત જણાશે તો સુજલામ-સુફલામ યોજના મારફત પાણી અપાશે.
આગામી સમયમાં જરૂરીયાત જણાશે તો ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ મારફતે પાણી અપાશે. મંત્રીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતોની રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ આવી હતી જેને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકો અને ખેડૂતોને કોણપણ પ્રકારની હાલાકી ન પડે સમયસર પીવા તેમજ સિંચાઇનું પાણી મળી રહે તે માટે નર્મદાના વધારાના પાણીને સૌરાષ્ટ્રના નાગરિકોને સૌની યોજના મારફતે આપવાનો નિર્ણય કરાયો છે. આ વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે.
ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે. જો ઉત્તર ગુજરાતના નાગરિકોની રજુઆત આવશે તો તેમને પણ પરિસ્થિત અને પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે. ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે. સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કુલ 11 જિલ્લામાં 10 કલાક કૃષિ વિષયક વીજ પુરવઠો આપવામાં આવશે.
1 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 17 ઈંચ જ્યારે કચ્છમાં 12 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. હાલ મોટાભાગના જિલ્લાઓમાં મેઘવિરામ છે. 1 ઓગસ્ટ સુધીમાં છેલ્લા 11 વર્ષમાં વરસેલા સરેરાશ વરસાદ કરતા આ વર્ષે ઓછો વરસાદ વરસ્યો છે. કેબિનેટની બેઠકમાં ખાતરનો મુદ્દો ઉઠ્યો હતો. મુખ્યમંત્રીએ ખાતરના પુરવઠા અંગે માહિતી મેળવી હતી. જ્યાં ખાતર ઓછું છે તે જિલ્લામાં ઝડપથી ખાતરનો જથ્થો પહોંચાડવા આદેશ કર્યો હતો. ખાતરની અછત પર મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે રશિયા, ઈરાનમાં યુદ્ધના કારણે ખાતરનો જથ્થો ઓછો આવે છે. ભારત ખાતરમાં આત્મનિર્ભર બની રહ્યું છે. હવે દર મહિને ખાતરનો પૂરતો જથ્થો મળી તેવી વ્યવસ્થા કરાશે. આ તમામની વચ્ચે દાહોદમાં ખાતર ડેપો ગાંધીનગરની ટીમે તપાસ કરી હતી.